“આ જરુર રામાયણના ધોબીની વાત છે ! એ જ હોવી જોઈએ.. અયોધ્યા,વશિષ્ઠ આશ્રમ, મોટો પુત્ર, વનવાસ, અપહરણ,લંકા.. આ બધુ તો રામાયણનો ભાગ છે!” મે વિચાર્યુ.
“પણ મને પેલા ધોબી વિશે કશો ખ્યાલ નહોતો. હમમ.. તો એ જ્ઞાની હતો અને કિર્તિની મહત્વાકાંક્ષાને લીધે તેણે નનામો પત્ર લખ્યો. પરંતુ એક પત્રને કારણે રામે સિતાનો પરિત્યાગ કેમ કરી દીધો ?” હું વિચારતો હતો.
“બિચારો દિવાકર ! તેનો ઈરાદો આવો નહોતો. અને તેને પોતાના કૃત્ય બદલ પસ્તાવો પણ થયો હતો. બિચારો અંત સુધી પોતાની જાતને ધિક્કારતો રહ્યો. પોતાના કૃત્યનુ તેને પુરતુ ફળ મળી ગયુ. ભગવાન તેની આત્માને શાંતી આપે” મે પ્રાર્થના કરી.
~ ~ ~
હું વજ્રચિત્ર છુ. મારા પિતા એક બહાદુર ક્ષત્રિય સૈનિક હતા. તેમણે કેટલાયે યુધ્ધ લડ્યા અને જિત્યા હતા. તેમણૅ મને બાળપણથી જ ભાલો ચલાવવામાં પ્રવિણ બનાવ્યો હતો. દસ વર્ષની ઉમરે હું વીસ હાથ દુરથી લક્ષને વિંધી શકતો. યુવાન થઈને હું મહેલનો રક્ષક બન્યો.
એક દિવસ હુ આયુધશાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે અમારા બે યુવરાજ ત્યા આવ્યા. બંને ઝગડો કરતા હતા કે કોણ સારો નિશાનેબાજ છે. પહેલા યુવરાજ લક્ષ વિંધે એ પહેલા મેં મારા ભાલાથી લક્ષ વિંધી નાખ્યુ. એમાના એક યુવરાજ બહુ ક્રોધિત થયા. મેં કહ્યુ કે હુ તો ફક્ત મારો અભ્યાસ કરતો હતો અને શસ્ત્રવિધામાં સ્પર્ધા યોગ્ય નથી. એ યુવરાજે મને સજા કરવાની ધમકી આપી કાઢી મુક્યો. “જો ફક્ત એક દિવસ માટે પણ મને સત્તા મળે તો આ નાકે ચઢેલા યુવરાજને હુ બતાવી દઈશ કે હું કોણ છુ..” મે વિચાર્યુ. પરંતુ જ્યારે ખરો સમય આવ્યો ત્યારે હું એ કરી ન શક્યો.
મને રાણીજીના મહેલનો મુખ્ય રક્ષક નિયુક્ત કરવામા આવ્યો હતો. એ દરમિયાન હુ ઘણીવાર રાણીજીને મળતો. તેઓ તેજોમય આંખો, કાળા ભમ્મર કેડ સુધી આવતા વાળ ધરાવતા સુંદર નારી હતા. તેઓ વેદોના અને શસ્ત્રવિધાના જાણકાર હતા. પરમ સ્નેહમય એવા તેઓ સહુને પ્રેમથી બોલાવતા. હું તેમનો ખુબ આદર કરતો.
એક દિવસ તેઓએ ખુબ ચિંતિત અવસ્થામાં આવીને મને કહ્યુ,”હે વજ્રચિત્ર, રાજદરબારમાં જઈ કૃપા કરીને એવુ કરો કે મારા પતિ ધર્મથી વિપરીત કશુ ન કરે. મને બહુ અયોગ્ય એવી સ્ફુર્ણા થાય છે. મને ઘણુ આશ્ચર્ય થયુ. તેમના પતિ ધર્મપરાયણ હતા. હજુ તો હુ કશુ આગળ વિચારુ એ પહેલા યુવરાજ ત્યાં એલફેલ બોલતા આવી પહોચ્યા.
“હવે જ્યારે તારા પતિઓ તને જુગારમાં હારી ગયા છે ત્યારે તુ મહારાણી નહી એક દાસી છે. તારુ અભિમાન બાજુએ મુકીને એક દાસીની જેમ મારી સાથે આવ. હુ તારો નવો માલીક છુ. મારા મોટાભાઈ તારા નવા પતિ થશે.” એ પાગલોની જેમ બોલતો રહ્યો.
બહુ થયુ. આવો જંગલી વ્યવહાર હું કેમ સાંખી શકુ ? પછી ભલે સામે યુવરાજ કેમ ન હોય ? “યુવરાજ, તમારી વાણીને સંભાળો. તમે મહારાણી સાથે વાત કરી રહ્યા છો.” મે તેને પડકાર્યો.
“એ હવે મહારાણી નથી રહી. તેના પતિઓ તેને જુગારમાં હારી ગયા છે. હવે એ એક દાસી છે. અને હુ તેની સાથે એ જ રીતે વર્તિશ.અને તારે વચ્ચે પડવાની જરુર નથી.તુ તારુ કામ સંભાળ”
“યુવરાજ, જો તમારે વાત કરવી હોય તો સભ્યતાથી કરો. આખરે એ રાણી ન હોય તો પણ તમારા ભાભી છે. તમે તેમની સાથે આવુ વર્તન ન કરી શકો” હુ ગરજ્યો.
“તુ, એક રક્ષક મારી સાથે ઉંચા અવાજે વાત કરે છે ? તારી આ હિમ્મત ?” તેઓ ક્રોધથી બોલ્યા.
હુ થોડો ક્રોધિત,થોડો ભયભિત,થોડો અચંબિત હતો. મને શુ કરવુ એ જ નહોતુ સમજાતુ. શુ છે મારો ધર્મ ? યુવરાજ નો વિરોધ કરવો અને સજા પામવી ? મહારાણીને અપમાનિત થઈ જતા જોઈ રહેવુ? શુ કરવુ?
મેં છેલ્લી વાર યુવરાજને રોકવાનો પ્રયત્ન કર્યો. “હુ તમને મહારાણીને મહેલની બહાર નહી લઈ જવા દઉ.” મે મારો નિર્ધાર જણાવ્યો.
“છોડ એ વાત. હુ એક દગાખોર રક્ષકને તેનુ ઈનામ આપવા જઈ રહ્યો છુ. હવે તને કાળ પણ નહી બચાવી શકે.” યુવરાજે ખુન્ન્સથી કહ્યુ.
એ યુવરાજ નાનપણથી જ બહુ અભિમાની અને ક્રોધી હતો. હુ તેને પહેલેથી ધિક્કરતો. અને આ પરિસ્થિતીમાં બે લોકો જોડાયેલા હતા, મહારાણી – જેનો હુ ખુબ આદર કરતો અને યુવરાજ – જેને હુ સહુથી વધુ ધિક્કરતો. “હું આજે યુવરાજને હરાવી ને તેના અભિમાનને ખંડિત કરીશ” મેં વિચાર્યુ.
મેં મારા ભાલાથી તેના પર પહેલો હુમલો કર્યો. પણ તે તૈયાર હતો. તેણે ગદાથી એ પ્રહાર જિલ્યો અને વળતો પ્રહાર કર્યો. એ પ્રહારે મારી પીઠને બહુ ખરાબ રીતે જખમી કરી. હૂ ઉભો થઈ ફરી લડવા લાગ્યો. એ ગાળો બોલતો, પાગલોની જેમ હસતો
હસતો મારા પર પ્રહાર કરતો રહ્યો. થોડા સમયમાં જ મારુ બળ ઓસરવા લાગ્યુ.મને થયુ કે રાણીજીના પતિઓ જો પાછા ફરે તો કદાચ મને બચાવી શકે. પરંતુ એ પહેલા એક જીવલેણ પ્રહારથી હુ રાણીજીના ચરણોમાં પડી ગયો.
“મને માફ કરજો, રાણીજી ! હું તમને બચાવી ન શક્યો.” હુ પિડા અને દુઃખથી રડતા રડતા બોલ્યો. મે વિચાર્યુ, હુ આ લડાઈ શેના માટે લડ્યો ? ધર્મ માટે ? કે પછી મારા બદલા માટે ? મને તેનો જવાબ મળે એ પહેલા હુ મારા જ ભાલાથી વિંધાઈ ગયો અને મૃત્યુ પામ્યો.
~ ~ ~
“હમમ..તો આ દ્રૌપદીના રક્ષકની જીવનકથા હતી ! અને એ યુવરાજ ચોક્કસ દુઃશાસન હોવો જોઈએ. દુઃશાસન એટલે જેને કાબુમાં રાખવો મુશ્કેલ છે તેવો.” હું આ કોયડો ઉકેલીને હરખાઈ ગયો.
“મને આ કથાઓ ખુબ જ ગમી. જાણે એમણે મારા જીવનમાં કશુક ઉમેર્યુ છે.” મે વિચાર્યુ.
આટલામા આજુબાજુનો પ્રકાશ એટલો બધો વધી ગયો કે મારાથી આંખ ખુલ્લી રાખવી મુશ્કેલ થઈ ગઈ. એટલે હું આંખો બંધ કરી વિચારવા લાગ્યો.
“હું કોઈ જુદી જ અવસ્થામાં છુ?” – પ્રશ્ન.
મારી અંદરથી, સમજાવી ન શકાય એવો જવાબ આવ્યો. “હા”
“શું આ એ જ છે જેને લોકો અંતઃસ્ફુર્ણા કે પછી ધ્યાન કહે છે ?”
“હા” – પાછો એવો જ જવાબ.
હું ખુબ રોમાંચીત થઈ ગયો. લોકો આને આત્માનો અવાજ, સહુની અંદર રહેતા પ્રભુનો અવાજ, જાત સાથેનો સંવાદ,અંતઃસ્ફુર્ણા ,ભ્રમણા એમ અનેક રીતે આલેખે છે. એ જે પણ હોય, હુ તેને જાણવા અને અનુભવવા માંગતો હતો.
“હું ક્યાં છુ ?” મેં પુછ્યુ.
કશો જ જવાબ નહી !! લાગે છે આ અંતઃસ્ફુર્ણા કે પછી આત્માનો અવાજ ફક્ત હા ના માં જવાબ આપે છે. વાંધો નહી, એક ચાલાક સવાલ પુછવા દે.
“મને વિસ્તૃત જવાબો મળી શકે ?” મે પુછ્યુ.
“હા” !!
હા, મળી શકે !! જરુર કોઈ રસ્તો હોવો જોઈએ. મે એકાગ્ર થઈને તેના વિશે વિચાર્યુ. અને મને સમજાયુ. ફક્ત દ્રષ્ટી બદલવાની, સુક્ષ્મ સ્તર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરુર હતી. પછી જેટલુ જાણવા માગો એટલુ મળી શકે. બહુ પ્રયત્નો પછી મને હા ના કરતા થોડો વિસ્તૃત જવાબ મળવા લાગ્યો. અને હુ એ રહસ્યમય કોયડો ઉકેલવા લાગ્યો.
સરસ વાત. દ્રૌપદીના રક્ષકની જીવનકથા, ખુબ સૂક્ષ્મ વિશલેષણ.